મુંબઇ

ટીવીની લોકપ્રિય સીરિયલ નાગિન 3 ફેમ એક્ટર પર્લ વી પુરીની મુંબઈ પોલીસ દ્વારા બળાત્કાર અને છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, એક બાળકી અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી એક્ટર સહિત પાંચ અન્ય લોકોની શુક્રવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે આ તમામ લોકો પોલીસ કસ્ટડીમાં છે.

આ સમાચારની પૃષ્ટિ કરતાં મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે જણાવ્યું કે, પર્લની ધરપકડ વસઈ પોલીસે કરી છે. પોલીસ દ્વારા આનાથી વધારે જાણકારી આપવામાં નથી આવી. પીડિતાનું કહેવું છે કે તેની સાથે કારમાં વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અત્યારે, આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પર્લ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તે એક્ટ્રેસ કરિશ્મા તન્ના સાથેના સંબંધોને કારણે પણ ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ પાછળથી તેમની વચ્ચે મતભેદ ઉભા થયા હતા અને બન્ને અલગ થઈ ગયા હતા. જો કે, અત્યારે પણ તેઓ સારા મિત્ર છે.

પર્લની ધરપકડના સમાચાર સાંભળીને ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની તેના બચાવમાં આગળ આવી છે. અનિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો પર્લ સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, પર્લ પુરીની ધરપકડના સમાચાર સાથે મારી સવાર થઈ, પરંતુ તેમાં કોઈ તથ્ય જણાતું નથી. હું તેને ઓળખુ છું અને આ સમાચાર સાચા ના હોઈ શકે. મને વિશ્વાસ છે કે વાત કંઈ બીજી જ હશે અને વહેલી તકે સત્ય બહાર આવી જ જશે.