રાજકોટ-

રાજકોટ શહેરના ગોંડલ રોડ પુનિતનગર પાસે વાવડી રોડ પર નવા બનતા વૃંદાવન ગ્રીન સિટી નામની સાઈટ પર મજૂરી કામ કરતાં મજૂર પરિવારની છ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવના સવા મહિના બાદ ક્રાઈમ બ્રાંચે આ બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખી સિરિયલ કિલર બહુનામધારી શખસને ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં આ શખસે અગાઉ રાજસ્થાનમાં એક વૃધ્ધ અને બાળકી સાથે દુષ્કર્મ ગુજારીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે.  તેમજ જે બાળકીની હત્યા કરવામાં આવી તે બાળકી સાથે પણ તેણે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ શખસ પેડોફિલથી પીડાતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મુળ દાહોદના ગરવાળાના અરવિંદભાઈ રસિયાભાઈ ડામોરની છ વર્ષની પુત્રી નેન્સી ગત તા.૨૩ ઓગસ્ટના રોજ સાઈટ ઉપરથી ગુમ થઈ હતી અને બીજા દિવસે તેની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમે આ હત્યા કેસનો ભેદ ઉકેલવા અલગ અલગ દીશામાં તપાસ શરૂકરી હતી. 

તે દરમિયાન તપાસમાં વૃંદાવન ગ્રીન સિટીના મજૂરોની પૂછપરછમાં વિક્રમ નામનો એક શખસ લાપતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિક્રમનું નામ અને સરનામું સહિતની માહિતી મેળવવા તપાસ કરતાં કોઈની પાસે તેનું પુરું નામ અને સરનામું ન હતું. બીજી તરફ તેનો મોબાઈલ પણ સ્વીચઓફ હતો. આ પ્રકરણમાં રાજકોટ પોલીસે આશરે ૧૫૦૦ જેટલા અલગ અલગ સાઈટો પર મજૂરી કામ કરતાં મજૂરોની પૂછપરછ કરી અને વિક્રમને શોધવા પ્રયાસો કર્યા. તે દરમિયાન પોલીસને વિક્રમ અંગે મહત્વની કોઈ માહિતી ન મળી. ક્રાઈમ બ્રાંચની ટીમને વિક્રમ તાજેતરમાં જામનગરના લાલપુર તાલુકાના કરેણા ગામે હોવાની માહિતી મળતા ત્યાંથી તેને દબોચી લેવાયો હતો. છ વર્ષની નેન્સીની હત્યા કરનાર મુળ રાજસ્થાનના ડુંગરપુરના સીંબલવાળા ગામના કાળુ ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન જીવાભાઈ ડામોર (મીણા) નામના ૪૦ વર્ષના શખસને ઝડપી લીધો હતો. 

પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં કાળુ ઉર્ફે વિક્રમ ડુંગરપુરમાં વર્ષ ૨૦૦૨માં વૃધ્ધની હત્યના ગુનામાં સંડોવાયેલો હોય અને તેને આજીવન કેદની સજા પડી હતી અને તે ઉદયપુરની જેલ ટ્રાન્સફર દરમિયાન જેલમાંથી ભાગી ગયો હતો. વર્ષ ૨૦૧૫માં વિક્રમે અર્જુન નામ ધારણ કરી રાજસ્થાનના જોધપુર ખાતે સેન્ટીંગ કામ શરૂ કર્યું હતું અને ત્યાં પાંચ વર્ષની મજૂર પરિવારની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે ગુનામાં તે હજુ સુધી ફરાર છે ત્યારબાદ તે રાજકોટ રાજકોટ આવી ગયો હતો અને રાજકોટમાં તેણે કાળુ નામ ધારણ કરીને મજૂરી કામ શરૂકર્યું હતું અને તે દરમિયાન અરવિંદભાઈની છ વર્ષની પુત્રી નેન્સીને ઉઠાવી જઈ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તે સોમનાથ વેરાવળ ગયો હતો અને ત્યાં તેણે ફોન તોડીને ફેંકી દીધો હતો. ત્યારબાદ તે પોરબંદર અને જામનગરના લાલપુર તેમજ કરેણા ગામે રોકાયો હતો અને પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો.