વડોદરા,તા.૯ 

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મલ્ટી નેશનલ કંપનીમાં ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્જે તાજેતરમાં આપઘાત કરી લેનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. આપઘાત કરનાર યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. અને તેના આગામી ડિસેમ્બર માસમાં લગ્ન પણ થવાના હતા.

ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટના બી-ટાવરમાં ૨૮ વર્ષીય મીત શશીકાંત પટેલ માતા-પિતા સાથે રહેતો હતો. અને ગોત્રી વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કોલાબેરા કંપનીમાં નોકરી કરતો હતો. બુધવારે મોડી રાત દરમિયાન તેણે દોરીથી પંખા ઉપર ફાંસો ખાઇને લીધો હતો. આપઘાત કરતા પૂર્વે તેણે તાજેતરમાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કરનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. ફિયાન્સી અને મિત્રોએ સવારે મિતના ઇન્સ્ટ્રાગામ ઉપર મિતે પોતાની મુકેલી તસવીર જોતા ચોંકી ઉઠ્‌યા હતા અને તેનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ, કોઇ જવાબ ન મળ્યો ન હતો. જેથી તેઓએ મિતની માતાનો સંપર્ક કયોર્ હતો.

મિતની માતાએ તેઓને જણાવ્યું કે, મિત દરવાજો ખોલતો નથી. મિતની માતાનો જવાબ સાંભળી તુરંત જ મિત્રો મિતના ઘરે દોડી ગયા હતા. તેઓએ પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, કોઇ જવાબ ન મળતા મિત્રોએ દરવાજો તોડી નાંખ્યો હતો.

દરવાજો તોડીને માતા અને મિતના મિત્રો રૂમમાં જતાં મિતને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્‌યા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મિત પટેલ તેની ઓફિસમાં નોકરી કરતી યુવતીને પ્રેમ કરતો હતો. અને બંનેના આગામી ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. જોકે, મીત તેની પ્રેમિકા સાથે લગ્ન કરે તે પહેલાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મુકીને આપઘાત કરી લીધો હતો. મીત પટેલે ચોક્કસ કયા કારણોસર આપઘાત કર્યો છે. તે અંગેનું રહસ્ય અકબંધ છે. હાલ જે.પી.નગર પોલીસે આ બનાવ અંગે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.