ગાંધીનગર-

રાજસ્થાનમા ગહેલોત સરકાર અને રાજભવન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સમગ્ર દેશમા કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અભિયાન હેઠળ દરેક રાજયમા રાજભવન સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામા આવી રહ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.આ ઉપરાંત તમિલનાડુ કોંગ્રેસ દ્વારા રાજભવન સામે બેનરો અને ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.

ગુજરાતમા કોંગ્રેસના કાર્યકરોએ લોકશાહી બચાવો બંધારણ બચાવોના સૂત્રો પોકારી વાતાવરણ ગુંજવી મુકયું હતું આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઈ હતી. વિરોધ પ્રદર્શન વખતે પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના કેટલાય કાર્યકરોની અટકાયત કરી છે.