નવસારી-

નવસારીના ચીખલીના સોલધરા ગામે ઇકો પોઇન્ટ પર રવિવારે ફરવા આવેલા અમદાવાદ અને સુરતના પરિવારની ખુશી ગમમાં પલટાઇ હતી. મામાના ઘરે આવેલ પરિવાર માછલા ઉછેરના તળાવમાં બોટીંગ માટે જતી વખતે બંને પરિવારો મળી કુલ 23 સભ્યો બોટ પર સવાર થતા. ઓવરલોડ થવાને કારણે બોટ કિનારે જ પલટી ગઈ હતી. આ કરુણાંતિકામાં ત્રણ બાળકીઓ સહિત 5 લોકોના ડૂબી જવાથી મોત થયા હતાં. જયારે 18 લોકોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસ સહિત બીલીમોરા અને ગણદેવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાઓએ તરત જ બચાવ કામીગીરી હાથ ધરી હતી. જેમાંથી 20 લોકોને તળાવમાંથી બહાર કાઢી 108 એમ્બુલન્સ મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયારે એક બાળકી સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર દરમિયાન પણ 2ના મોત થતા આંકડો 5 પર પહોંચ્યો છે. ઘટનાને પગલે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિતના આગેવાનો ધટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ મામાના ઘરના સંચાલક અશોક પટેલને અટકમાં લઇ તેની પુછપરછ હાથ ધરી હતી. આ સાથે જ ચીખલી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.