કોરોનાએ પોઝ બટન પ્રેસ કર્યા બાદ પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે ફરીથી શૂટિંગ શરૂ થઈ ગયું છે. દરમિયાનમાં આ શોની ટીમમાંથી એક એક્ટર વિદાય લેશે એવા ન્યૂઝ આવી રહ્યા છે. દિશા વાકાણી બાદ વધુ એક એક્ટર શો છોડી દેશે એમ માનવામાં આવી રહ્યું છે. આ એક્ટર છે નેહા મહેતા, જે આ શોમાં અંજલીનો રોલ પ્લે કરી રહી છે. નેહા અનેક વર્ષોથી આ શોની સાથે જોડાયેલી છે અને હવે ન્યૂઝ આવી રહ્યા છે કે, તે ટૂંક સમયમાં જ આ શોને ગુડબાય કહી શકે છે. 

સૂત્રોના મતે, નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી બીજીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી નેહા મહેતા સેટ પર પરત ફરી નથી. નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાના રોલમાં હતી. શોમાં અંજલી મહેતા ડાયટ અંગે સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું. સિરિયલનું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.