અમદાવાદ-

રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની આજે રાજભવન ખાતે શપથ વિધિ યોજાવા જઇ રહી છે. રવિવાર ભારે સસ્પેન્સ બાદ ભાજપ પાસેથી જે પ્રકારે આશા હતી. એ જ પ્રમાણે નવા ચહેરાને મુખ્યપ્રધાન પદ આપવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલ તેમના મુખ્યપ્રધાન નામની ઘોષણા બાદ રાજયપાલ ભવન પહોંચ્યા હતા. જ્યાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદના નગર દેવતા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં આરતી કરીને તેમને મહંત દિલીપદાસના આશીર્વાદ મેળવ્યા હતા. આજે સવારે ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગુજરાતમાં ધાર્મિક વર્ચસ્વ ધરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના છારોડી ખાતેના મથક ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સાધુ સંતોએ તેમને શાલ ઓઢાડી મો મીઠું કરાવ્યું હતું.