વડોદરા,તા. ૩ 

નિઝામપુરા વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસ પાછળ આવેલા ખ્રિસ્તી સમાજના સૌથી મોટા કબ્રસ્તાનમાં રહેતા અને પગીનું કામ કરતા યુવકની આજે બપોરે તેના જ મકાનમાં માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી. આજે મોડીસાંજે આ બનાવની ફતેગંજ પોલીસને જાણ કરાતા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હત્યામાં સંડોવાયેલા મનાતા શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, નિઝામપુરા પાસપોર્ટ ઓફિસ પાછળ આવેલા મેથોડિસ્ટ કબ્રસ્તાનમાં રહેતો રાકેશ રાજુભાઈ ક્રિશ્યન પગીનું તેમજ મૃતદેહોને દફનાવવા માટે ખાડા ખોદવાનું કામ કરતો હતો. લગ્ન જીવનમાં વિખવાદ થતા રાકેશની પત્ની તેને છોડીને જતી રહેતા તે હાલમાં તેનીં માતા સાથે રહેતો હતો. આજે સવારથી તેની માતા અને ઘર પાસે રહેતા પરિવારજનો ભરૂચમાં રહેતા સંબંધીના ઘરે જતા રાકેશ ઘરે એકલો હતો. છેલ્લા કેટલાક સમયથી રાકેશ દેશી દારૂ પીવાના રવાડે ચડતા આ મુદ્દે તેની માતા તેને દારૂ નહિ પીવા માટે પણ સમજાવતી હતી. મોડીસાંજે પરિવારજનો ઘરે પરત ફરતા તેઓને રાકેશની મકાનના પલંગ પર માથામાં ઇજા થતા લોહીલુહાણ હાલતમાં લાશ મળતા તેઓ ચોંકી ઉઠ્‌યાં હતા. આ બનાવની આ વિસ્તારના સામાજિક કાર્યકર પૂરવભાઈ પટેલને જાણ થતા તેમણે આ અંગેની ફતેગંજ પોલીસને માહિતી આપી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરતા એવી પ્રાથમિક વિગતો સપાટી પર આવી હતી કે, રાકેશના માથામાં કોઈ બોથડ પદાર્થ કે પથ્થર મારીને ઇજા પહોંચાડવામાં આવતા તેનું લોહી વહી જવાને કારણે મોત નીપજ્યું હશે. રાકેશની હત્યા કરાઈ હોવાની વિગતોના પગલે પોલીસે તપાસ હાથ ધરી કેટલાક શંકાસ્પદ આરોપીઓને પણ ઝડપી પાડી તેઓના કપડા કબજે લીધા હોવાની વિગતો સાંપડી છે. આ હત્યા સંદર્ભે હાલમાં પોલીસને એવી શંકા છે કે, રાકેશના ઘરે આજે કોઈ હાજર ન હોઈ રાકેશ તેના મિત્રો સાથે દારૂ પીવા બેઠો હશે અને દારૂની મહેફિલમાં કોઈ કારણસર બોલાચાલી અને ઝગડો થતા તેની હત્યા કરીને આરોપીઓ

ફરાર થયા હશે.