અમદાવાદ-

ગુજરાતમાં ધારાસભા પેટાચૂંટણીના અંતિમ તબક્કામાં આજે પ્રથમ વખત સંયુક્ત રીતે પ્રચારમાં પહોંચેલા મુખ્યમંત્રી વિજય રુપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ સંયુક્ત રીતે એક મુલાકાતમાં આગામી સમયનાં ભાજપ અને સરકારના અનેક વ્યૂહ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને અનેક વિવાદોનો પણ અંત લાવ્યો હતો. ગુજરાતમાં સી.આર. પાટીલ ભાજપના પ્રમુખ પદે આવ્યા બાદ હવે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે તેવી ચર્ચાને અસ્થાને ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીપદે વિજય રુપાણી યથાવત છે અને નેતૃત્વ પરિવર્તનમાં કોઇ ફેરફાર થશે નહીં તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધાનસભાની પેટાચૂંટણી બાદ મંત્રીમંડળમાં ફેરફાર અંગે ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેતા કહ્યું કે મંત્રીમંડળમાં ફેરફારનો કોઇ પ્રશ્ર્ન નથી, સવાલ જ નથી અને ચૂંટણી પછી મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવી કોઇ શક્યતા નથી.

ગુજરાત ભાજપના બંને દિગ્ગજ નેતાઓ પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં સાથે નીકળ્યા છે અને આજે બંનેએ સંયુક્ત રીતે પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. જેમાં બંને નેતાઓ વચ્ચે જો કે ભવિષ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો કે અન્ય નેતાઓને ભાજપમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના અગાઉના વિધાનોનું પુનરોચ્ચાર કરતાં કહ્યું કે અમારે હવે અમારે કોંગ્રેસના કોઇ ધારાસભ્યો કે નેતાઓની જરુર નથી તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે ભવિષ્ય જ કહી શકશે. શ્રી રુપાણી અને શ્રી પાટીલે તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને બંને નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જુઠાણાઓના આધારે ચૂંટણી જીતવા માગે છે પરંતુ ગુજરાતની જનતા તેને સ્વીકારશે નહીં. રાજ્યમાં કોરોનાકાળના સંદર્ભમાં હાલ સરકારી મહોત્સવો અને આયોજનો માટે કોરોના ગાઈડલાઈન લાદવામાં આવી છે અને તેથી આગામી વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ યોજાશે કે કેમ તેવા એક પ્રશ્ર્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અમે આગળ વધી રહ્યા છીએ પરંતુ હાલ અમે વાઇબ્રન્ટ નહીં યોજાય તે નિર્ણય લીધો છે. આમ મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ માહિતી આપીને વાઈબ્રન્ટ સમિટ આગામી વર્ષે નહીં યોજાય તે સ્પષ્ટ કરી દીધું હતું.