ગાંધીનગર-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિશેષ ચિંતા કરી છે.ત્યારે આજે રાજ્યનો વિકાસ ચરમસીમા ઉપર પહોંચ્યો હોવાનો સ્વીકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વ્યક્ત કર્યો છે. આજે ગાંધીનગરથી મોટેરાના બીજા તબક્કાની મેટ્રો રેલના પ્રોજેક્ટના કાર્યક્રમ તેમજ સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન અંતર્ગત વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિશ્વના નકશા ઉપર મૂક્યું છે. ત્યારે રાજ્યના ટુરીઝમ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને વર્લ્ડ ક્લાસ ટુરીઝમ બનાવવા માટે મેટ્રો રેલ અંતર્ગતના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ના ભૂમિ પૂજન કરવાથી ગુજરાતના વિકાસમાં નવું પીછું ઉમેરાયું છે. આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના અન્ય શહેરોમાં પણ મેટ્રો ની સુવિધા મળે તે માટે કેન્દ્રના સહકારથી વધુ મેટ્રો સેવા મેળવવા માટે પ્રયાસો શરૂ કરશે તેવી ખાતરી આપી હતી.

તેમણે આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રાજ્યની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે મેટ્રો રેલ કનેક્ટિવિટી ની નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યને જે ભેટ આપવામાં આવી છે . જે આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે મહત્વની સેવા સાબિત થશે. 

આ ઉપરાંત તેમણે કોવિડ 19ના રસીકરણ અભિયાન અંતર્ગત પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ વેક્સિનેશન ની કામગીરી ધીમે ધીમે તબક્કાવાર આગળ વધી રહી છે. જોકે આ વેક્સિનેશન અભિયાનમાં કોઈને ગંભીર અસર થઇ નથી. પરંતુ રાજ્ય સરકાર આ મામલે પણ સતત નજર રાખી રહી હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ એપીએમસી બાબતે કરેલા નિવેદન નો વળતો પ્રહાર કરતાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આજે પ્રજા વચ્ચે ખોટી પડી રહી છે. એટલું જ નહીં ભારત સરકારના આ કાયદા આવ્યા બાદ પણ રાજ્યમાં એક પણ એપીએમસી બંધ થઈ નથી .રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતના ખેડૂતોને પણ સેસ ભરવામાંથી મુક્તિ મળી હોવાનો સ્વીકાર કર્યો હતો . 

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિજયભાઈ રૂપાણીએ સહજતાથી સ્વીકાર કર્યો હતો કે અમારી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે .અને આવી રહેલી આ ચૂંટણીઓમાં ભાજપ નો જવલંત વિજય થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.