દેવગઢબારિયા/ઝાલોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે.દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા. જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેશ પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે શ્રી જાડેજાએ આજે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.  

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર શ્રી અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક હિતેશ જાેયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ એક નિવેદનમાં જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રીયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત એટીએસ દ્વારા બિલોસા કશ્યપની ધરપકડ 

દાહોદ, દાહોદમાં નકસલી પ્રવૃતિઓને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેના કારણે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાં ધામા નાખ્યા છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચે બિલોસા બબીતા કશ્યપની ધરપકડ કરી લીધી છે, જેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઝારખંડથી ૨૫મી જુલાઈએ ગુજરાત એટીએસએ બિલોસા બબીતા કશ્યપની ધરપકડ કરી હતી. બિલોસા બબિતા કશ્યપ સિવાય તેના બે સાથીઓની પણ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને દાહોદમાં ૩ મહિના સુધી નકસલી પ્રવૃતિઓમાં સંડોવાયેલી બબીતા રોકાઈ હોવાની શક્યતા દર્શાવી છે, જેના કારણે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દાહોદમાં પહોંચી છે અને બબીતા કશ્યપના તાર કોની સાથે હતા, તે અહીં કોના સંપર્કમાં આવી, શું કરવાની હતી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે, બિલોસા બબિતા કશ્યપ આદિવાસીઓ માટે લડત ચલાવે છે. તેને આદિવાસી કાયદા રદ્દ કરવા સામે એસસીમાં અરજી પણ કરી હતી. નકસલી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી બિલોસા બબિતા કશ્યપ અગાઉ દાહોદમાં ૩ મહિના રોકાઈ હોવાનો ખુલાસો થયો છે. જેને લઈને દાહોદમાં બિલોસા બબિતા કશ્યપને લઇ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બિલોસા બબિતા કશ્યપ કોના કોના સંપર્કમાં હતી, દાહોદમાં બિલોસા બબિતા કશ્યપના પ્લાનિંગને લઇ તપાસ શરૂ થઈ છે. ગુજરાત એટીએસએ બિલોસા બબિતા કશ્યપની ૨૫-૦૭-૨૦૨૦ ના રોજ ઝારખંડથી ધરકપકડ કરીને ગુજરાતમાં લવાઈ હતી.