અમદાવાદ-

કોરોના પછી મ્યૂકરમાઇકોસિસ રોગે માથું ઊંચક્યું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી ધરાવતાં લોકો આ રોગનો વધુ શિકાર થઈ રહ્યા છે. મ્યૂકરમાઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. તે એક ભયાનક બિમારી છે. મ્યૂકરમાઇકોસિસ એક ફંગસ છે, જે પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે. હાલ આ ભયાનક રોગ વચ્ચે સમગ્ર ગુજરાતના મહાનગરોમાંથી એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોનાથી સાજા થયેલા લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલા પહોંચે તો તેવા દર્દીઓમાં મોતનું પ્રમાણ નહિવત્‌ છે. કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે દેખા દેતા દર્દીઓમાં સ્વભાવિકપણે ભયનો માહોહલ ફેલાયો છે. આ ફુગના ઈન્જેક્શન પણ મોંઘાદાટ મળે છે અને મોંઘા હોવા ઉપરાંત સરળતાથી મળતા પણ નથી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યૂકર માઇકોસિસ માટે બે અલગ અલગ વોર્ડ ઊભા કરાયા છે, જેમાં કુલ ૧૧૦ બેડની સવલત ઊભી કરાઈ છે. અલબત્ત, ૧૧૦ પૈકી ૧૦૫ બેડ ભરાઈ ગયા છે, આમ કોવિડ બાદ હવે મ્યૂકર માઇકોસિસના દર્દીઓ માટે સિવિલના બેડ હાઉસફુલ થઈ ગયા છે, જેને પગલે શહેરના એક દર્દીને સિવિલે સારવાર આપવાને બદલે હાંકી કાઢયો હોવાની એક ફરિયાદ સામે આવી છે, આ જ રીતે અન્ય દર્દીઓ સાથે પણ બન્યું હોઈ શકે છે. સિવિલ તંત્રના કહેવા પ્રમાણે રોજના ૧૨થી ૧૫ નવા દર્દી મ્યૂકરના આવી રહ્યા છે. સિવિલ તંત્રનું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ૯૦ અને ૨૦ બેડ ડેન્ટલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, મ્યૂકર માઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. અમદાવાદમાં મ્યૂકર માઇકોસિસ ફંગસને કારણે ૨૫થી ૩૦ ટકા જેટલા લોકોના મોત થઈ રહ્યા છે. ફંગસ પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે.

કોરોના કાતિલ કહેર વચ્ચે સુરતમાં ફરી મ્યુકરમાઈકોસિસ બિમારીએ આંતક ફેલાવ્યો છે. સુરતમાં હાલ કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો આતંક જાેવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ૧૯ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ કરાયા છે. મ્યુકરમાઇકોસીસના ૯ પોઝિટિવ કેસ, જ્યારે ૧૦ શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. જેના કારણે તંત્ર દ્વારા ૨૦૦૦ ઈન્જેક્શનની માંગ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં વિવિધ ૩ વોર્ડમાં દર્દીઓ દાખલ કરાયા છે. પરંતુ આ બિમારીમાં પણ દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૭૧૫ કેસ નોંધાયા છે, જ્યારે ૧૯૨ દર્દીઓના મોત થયા છે. જૂનાગઢ, અમરેલી, મોરબીમાં કેસ વધ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકરમાઈકોસિસનો કહેર જાેવા મળી રહ્યો છે. સિવિલમાં મ્યુકરમાઈકોસિસના વધુ ૨૫ કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના ૧૫૦ દર્દીઓ દાખલ છે.બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં ૨૫ કેસનો વધારો થયો છે. રાજકોરમાં હાલ કુલ ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસીસ માટે હાલ ૧૦૦ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં મ્યૂકર માઇકોસિસ રોગે પગપેસારો કરી દીધો છે. બીજા વેવમાં જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના ૩૫થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. વલસાડના ઇ.એન.ટી. સર્જને કોરોનાના બીજા વેવમાં અત્યાર સુધીમાં આ રોગનો ભોગ બનેલા ૧૫ દર્દીના ઓપરેશન કર્યા છે. જે પૈકી પાંચને રજા આપી દેવાઇ છે, જયારે એકનું મોત થયું છે. વલસાડની ડોકટર હાઉસમાં હાલમાં મ્યૂકર માઇકોસિસની વધુ ૧૦ દર્દીઓ, કસ્તુરબા હોસ્પિટલમાં ૦૫ દર્દીઓ તથા પારડીની પારડી હોસ્પિટલમાં ૦૩ દર્દીઓ દાખલ છે. મ્યુકરમાઈકોસિસ આંખ, મગજની સાથો-સાથ ઉપલા દાંતના જડબાંને પણ અસર કરતા દાંત ખરી પડયા હોવાના કેસ પણ શહેરમાં હવે નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. સાયનસથી શરૂ થતા મ્યુકરમાઈકોસિસની આંખ અને તેની સાથે મેગ્ઝિલોમાં પણ અસર થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક દર્દીના શહેરના તબીબ દ્વારા થયેલી સાયનસની સર્જરીમાં ૯ દાંત ખરી પડયા હોવાની ઘટના બની છે.