રાજકોટ-

સૌ.યુનિ. દ્વારા તા.23 ફેબ્રુઆરી 2021ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે, ક્રમાંક નં.એકે-602-2020, તા.12 નવેમ્બર 2020ના પરિપત્રનો અમલ આગામી શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે અને આ પરિપત્રમાં પરિષિસ્ટ 2016 પછીના વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો.

ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં સૌ.યુનિ. સંલગ્ન બધા જ અભ્યાસ ક્રમ માટે તમામ સેમેસ્ટરના ફોર્મ વિદ્યાર્થી ભરી શકે અને આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે જેથી કરીને હજારો વિદ્યાર્થીઓનું ભાવી ન જોખમાય તે માટે આજરોજ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને એનએસયુઆઈ દ્વારા આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 2016 પહેલાના કેટલાંક વિદ્યાર્થી એવા છે કે જેઓ કોઈપણ એક સેમેસ્ટરમાં નાપાસ છે અને વિદ્યાર્થીની પણ માંગ છે કે આવા વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં પૂરો મોકો આપવામાં આવે અને પરીક્ષા ફોર્મ તાકીદે ભરી પરીક્ષાનું આયોજન વહેલી તકે થાય, યુજીસીના પરિપત્રના સુધારા સાથે આગામી શૈક્ષણિક વર્ષ 2021-22માં કરવામાં આવશે. હમણાજ જાહેર કરેલ સુધારા હોવાથી તેનું અમલીકરણ પણ હવે ચાલુ શૈક્ષણિક વર્ષોના વિદ્યાર્થીને લાગુ થવું જોઈએ. 2016 પહેલાના હજારો વિદ્યાર્થીઓને પોતાના સ્નાતક કોર્ષ અમુક વિષયના કારણે પુરા થયા નથી. જેથી આ નિયમથી ઘણા વિદ્યાર્થીના કારકિર્દી પર સીધી અસર થાય છે અને આવા તમામ વિદ્યાર્થીને છેલ્લી તક આપવી જોઈએ અને તેમના પરીક્ષા ફોર્મ ભરવાના તાત્કાલીક તારીખ જાહેર કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં એનએસયુઆઈના પ્રમુખ રોહિત રાજપુત સહિત અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.