ગાંધીનગર,કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૧૨નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. ત્યારે ધોરણ ૧૨ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. જે પરિપત્ર અનુસાર ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે. એટલુ જ નહી જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઈન શિક્ષણકાર્યમાં જાેડાવા ન ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ આપવાનું યથાવત રહેશે. વર્ગખંડોમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પક્ષ મેળવવાનું રહેશે. વર્ગ ખંડોમાં ૫૦ ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. અને વર્ગખંડોમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર પણ રાખવાનું રહેશે. નિયમિત રીતે વર્ગખંડોનું યોગ્ય સેનેટાઈઝેશન થાય સાથે જ સ્કૂલ પરિસરમાં હેંડ વોશિંગ અને સેનેટાઈઝેશન પોઈંટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે. શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે.

ઓફલાઈન શિક્ષણ માટે સરકારની ગાઈડલાઈન

• શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

• ૫૦ ટકા ક્ષમતા સાથે છાત્રોને શાળામાં બોલાવી શકાશે

• શાળાએ ન આવે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે

• ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી

• શાળામાં સામાજિક અંતરનું પાલન જરૂરી

• વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવાના

• શાળામાં હેન્ડ વોશિંગ પોઈન્ટ પૂરતા પ્રમાણમાં રાખવા

• શાળાના સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત