વડોદરા

સરકારે ખાનગી શાળા સંચાલકોને વધુ એક ફટકો માર્યો છે. સરકાર પોતે શાળા સંચાલકોને આરટીઇ હેઠળ વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની ફી આપે છે, તેમા ૨૫ ટકા કાપ સરકારે જાતે જ કરીને ખાનગી સ્કૂલ સંચાલકોને તે ફી ચૂકવી હોવાની માહિતી મળી છે. જ્યારે હકીકતમાં સરકાર દ્વારા આ અંગે ખાનગી શાળા સંચાલકો સાથે આ મુદ્દે કોઈ વાટાઘાટો કર્યા વિના જ ફી ઘટાડાનો ર્નિણય લાગુ કરી દેવાતા ખાનગી શાળા સંચાલકોમાં ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે.

આ અંગે શાળા સંચાલકોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ કોરોનાનાં વિપરીત કાળમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું. વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ અને સમાજના વિશાળ હિતમાં ગતવર્ષ ૨૦૧૯-૨૦ મુજબની જ સ્કૂલ ફી લેવી અને વર્ષ ૨૦૨૦-૨૧ની શૈક્ષણિક ફીમાં ૨૫ ટકા જેવો અસહ્ય ઘટાડો પણ શાળા સંચાલકોએ સ્વિકાર્યો હતો. આ ફી ઘટાડાની સમજૂતીનો ઉદ્દેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની ઇ્‌ઈ નાં વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર હાઇકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતાં ખર્ચ મુજબ ચૂકવવાની થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ જેટલો થાય છે, જેના બદલે સરકાર ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા જ વિદ્યાર્થી દીઠ ચૂકવે છે, તેમા પણ કાપ મૂકવામાં આવ્યો છે. તાજેતરના સરકારી પરિપત્ર મુજબ આ રકમમાં પણ ૨૫ ટકા ઘટાડો કરવા સૂચના અપાઇ છે. આ મુજબ સ્કૂલને ફક્ત રૂપિયા ૭,૫૦૦ રૂપિયા જ મળનાર છે.સરકાર દ્વારા સમાજના અનેક વર્ગને આર્થિક સહાય જાહેર થયેલ છે જે ખૂબ જ સારી વાત છે. શાળા સંચાલકો પણ વર્તમાન પરિસ્થિતિમા ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલા છે ત્યારે સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશ મુજબ પૂરી રકમ ચૂકવવા ને બદલે ફક્ત રૂપિયા ૭,૫૦૦ ચૂકવવાનો ર્નિણય ખૂબ જ નિરાશાજનક છે.