આણંદ : આણંદમાં આવેલી વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના વાઇસ ચેરમેનના મુદ્દે કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટમાં છેલ્લા ચાર માસથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગતરોજના હાઇકોર્ટ દ્વારા વધુ એક તારીખ આપતાં આગામી સુનાવણી હવે તા.૨૪ ફેબ્રુઆરીએ ઠેરવવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, આશરે સાત હજાર કરોડ ઉપરાંતનું ટર્ન ધરાવતી અમૂલ ડેરી પર સરકાર દ્વારા પૂર્ણતઃ સત્તા હસ્તગત કરવા ગત ૨૩ ઓક્ટોબરે ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ચેરમેનની બેઠક બિનહરિફ થતાં વાઇસ ચેરમેન માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધી પણ મતદાન કરે તેવો તખતો ગોઠવાતાં વિપક્ષ દ્વારા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટે દિશા નિર્દેશ આપી ચૂંટણીની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાઇકોર્ટના નિર્દેશ મુજબ વાઇસ ચેરમેનની બેઠક માટે મતદાન કરાયું હતું. સરકારી પ્રતિનિધીઓના મતદાન અધિકાર બાબતની દાદ હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેઓના મત સીલબંધ રાખવામાં આવ્યાં છે. હાઇકોર્ટમાં અરજીના નિકાલ બાદ સરકારી પ્રતિનિધીના મત બાબતે નિર્ણય કરવામાં આવશે.

હવે છેલ્લાં ચાર માસથી આ અરજીની સુનાવણીમાં તારીખો પડતી હોવાથી અમૂલમાં વાઇસ ચેરમેનની બેઠક પર કોણ બેસશે તેનો નિર્ણય થઈ શક્યો નથી. ગતરોજ વધુ એકવાર તારીખ પડતાં હવે આગામી ૨૪મીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

નવાઈ ની વાત એ છે કે વર્ષ ૨૦૧૫ના ગાળામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાવા પામી હતી, જેનો ચુકાદો બે વર્ષ બાદ આવ્યો હતો. હવે જાેવાનું રહે છે કે, આ અરજીનો નિકાલ ક્યારે આવશે?