દિલ્હી-

સંસદના ચોમાસૂ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. આ પહેલા સંસદના પરિસરમાં મીડિયા સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને શાંતિ વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, “હું તમામ સાંસદોને આગ્રહ કરીશ કે તેઓ સતત પ્રશ્ન પૂછે, વારંવાર પ્રશ્ન પૂછે, પરંતુ શાંત વાતાવરણ રાખે. સરકારને પણ જવાબ આપવાનો પુરતો સમય આપે.” પીએમ મોદીએ કહ્યું કે, દેશની જનતા જે જવાબ ઇચ્છે છે, એ જવાબ આપવાની સરકારની સંપૂર્ણ તૈયારી છે.

તેમણે કહ્યું કે, અંદરની વ્યવસ્થા પહેલાની માફક નથી. તમામ સાથે બેસીને કામ કરવાના છે, કેમકે લગભગ-લગભગ વેક્સિનેશન થઈ ગયું છે. આ સત્રમાં ફાઇનાન્સિયલ સહિત કુલ ૩૧ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્ર ૧૩ ઑગષ્ટ સુધી ચાલવાનું છે. ચોમાસુ સત્રની શરૂઆતથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને આશા છે કે તમે બધાયે વેક્સિનનો પહેલો ડોઝ લગાવી દીધો હશે. ત્યારબાદ પણ આપણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.પીએમે કહ્યું કે, કોરોનાની રસી બાહુ (ખભો) પર લાગે છે. આવામાં અત્યાર સુધી ૪૦ કરોડથી વધારે લોકો બાહુબલી બની ચુક્યા છે, પરંતુ આપણે કોવિડ નિયમોનું પણ પાલન કરવાનું છે. પીએમે કહ્યું કે, સરકાર ઇચ્છે છે કે મહામારીના મુદ્દા પર સાર્થક ચર્ચા થાય. આ સાથે જ પીએમ મોદીએ જાણકારી આપી કે તેઓ કાલે સાંજે સદનને કોવિડ પર વિસ્તૃત જાણકારી પણ આપશે.લોકસભા સાંસદ ઓમ બિરલા ચોમાસુ સત્ર માટે સદન પહોંચ્યા અને તેમણે ટ્‌વીટ કર્યું કે, ‘લોકો ઇચ્છે છે કે તેમના પ્રશ્નો સાંસદો મારફતે સરકાર સુધી પહોંચે. મને આશા છે કે તમામ રાજકીય દળો આ દિશામાં સકારાત્મક ભૂમિકા નીભાવશે.