અરવલ્લી,પાલનપુર,તા.૫ 

પાલનપુરમાં પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે ન્યાય આપવા અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ પ્રજાપતિ સમાજના અગ્રણીની હત્યા મામલે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના દલપતભાઈ પ્રજાપતિની હત્યા થતા ૧૪ જુલાઈ-૨૦૨૦ના રોજ પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી,આ ઘટનાને ૨૨ દિવસ સમય વિતી જવા છતાં હજુ સુધી પોલિસ કાર્યવાહી યોગ્ય દિશામાં નથી થઇ. યોગ્ય ન્યાયિક તપાસ ન થતાં સમગ્ર ઘટનાને અખિલ ભારતીય કુંભકાર સંઘ અને અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી સખતમાં સખત સજા આપવાની માંગ અખિલ ભારતીય કુંભકાર સંઘ અને અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.