ભરૂચ-

ગુજરાતનાં રાજકારણમાં અસૂદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી થવા જઈ રહી છે. રવિવાર તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ AIMIM અને BTPની સંયુક્ત જાહેરસભામાં અસદુદ્દીન ઓવૈસી ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા સાથે જાહેરસભાને સંબોધશે.અસદુદ્દીન ઓવૈસી 6 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 6 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. સુરતમાં રાત્રિ રોકાણ બાદ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચમાં જાહેર સભાને સંબોધ્યા બાદ અમદાવાદ જવા રવાના થશે. સાંજે 6 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમના કાર્યક્રમ બાદ હૈદરાબાદ જવા રવાના થશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ માટે કવાયત શરૂ કરી છે. તો બીજી તરફ AIMIMનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ રહી છે. AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા તારીખ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાશે. જેમાં અસૂદ્દીન ઓવૈસી સંબોધન કરશે. આ જાહેરસભામાં ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા પણ ઉપસ્થિત રહેશે અને જાહેરસભા સંબોધશે. AIMIMની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે.