ગાંધીનગર-

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ 31 ઓગસ્ટના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન 2 વખત 6 મહિના માટે એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે 31 ઓગસ્ટના રોજ તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થતા હોવાથી રાજ્ય સરકારે 1986ની બેચના IAS અધિકારી પંકજ કુમારની રાજ્યના મુખ્ય સચિવ તરીકે વરણી કરી છે. હાલમાં તેઓ ગૃહ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવે છે. અનિલ મુકિમ નિવૃત્ત થતા ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર સિવાય ઉદ્યોગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તા, IPS અધિકારી અને હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમારનું નામ પણ ચર્ચામાં હતું. જોકે, આજે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી દેવાતા નામોની ચર્ચા પર અંત આવી ગયો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને તેમની કોરોનાકાળ દરમિયાનની કામગીરીને ધ્યાને રાખીને સતત 2 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જોકે, 31 ઓગસ્ટે તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમના સ્થાને ગૃહ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. તેઓ 1 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે.