અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉર્દુની કેટલીક શાળાઓ જર્જરિત હોવાના કારણે બંધ કરી દેતા વિવાદ ઉભો થયો છે જેમાં અમદાવાદ પૂર્વની રખિયાલ મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨, ગોમતીપુર મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨ અને રાજપુર મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨ ને ફરીથી ચાલુ કરાવવા માટે જમાઅતે ઇસ્લામી હિંદ વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસ.આઈ.ઓ.) ગુજરાત ઝોન દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય સ્કૂલોને એન્જીનીયરના રિપોર્ટ મુજબ સ્કૂલોને ભયજનક ગણાવીને બંધ કરી દૂરની શાળાઓમાં ખસેડવામાં આવી છે.એડવોકેટ એ.બી.શેખે જણાવ્યું હતુ કે “કોર્પોરેશનના એન્જીનીયરના રિપોર્ટ અમને સંતોષજનક લાગતા નથી. અહીંના નાના બાળકો બીજી શાળામાં રોડ ક્રોસ કરીને જઈ શકશે નહીં. આ શાળાઓ ૨૦૦૧ના ભુકંપ સમય પણ અડીખમ ઉભેલી હતી અને આજે પણ તેની એક પણ ઈંટ ખસી નથી કે દિવાલોમાં તિરાડો પણ પડી નથી. તો આખી ઇમારત ભયજનક કેવી રીતે થઈ ગઈ.” તેમણે શાસનાધિકારી ઉપર પ્રશ્ન ઉભો કરતાં કહ્યું કે, “રખિયાલ ઉર્દુ શાળા નં. ૧-૨ ભયજનક કહીને બંધ કરી છે . જ્યારે શાળાની નીચેની દુકાનો ચાલુ છે. તે કેમ ભયજનક નથી? શાસનાધિકારીને ફકત ઉર્દુ શાળાઓ કેમ ભયજનક લાગે છે?”

એવી શંકા દેખાઈ રહી છે કે શાસનાધિકારીએ પક્ષપાતી વલણ અપનાવી ઉર્દુ શાળાઓને ભયજનક બતાવી બીજે ખસેડી તેને બંધ કરવાનો કારસો રચ્યો હોય તેવું લાગે છે. જેથી શાળા દૂર હોવાથી બાળકો જાય નહીં અને શાળા આપોઆપ બંધ થઈ જાય. આમ લઘુમતી કોમના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો પ્લાન હોય એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહયા હોય એમ લાગે છે. એસ.આઈ.ઓ.ના એક પ્રતિનિધિમંડળ દ્વારા આ ત્રણેય શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. સંગઠનના ઝોનલ સેક્રેટરી મુવ્વર હુસૈનનું માનવું છે કે, “ઉપરોક્ત શાળાઓનો કોઈ બીજા ઇજનેર મારફત સર્વે રિપોર્ટ કરાવવામાં આવે અને જો માઇનોર રીપેરીંગની જરૂર હોય તો તે કરાવી શાળાઓને ફરી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે. જો શાસનાધિકારીને ખરેખર આ શાળાઓ ભયજનક લાગતી હોય તો બાળકોના શિક્ષણની તેમની હાલની શાળાના કેમ્પસમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જે તંત્રની ફરજમાં આવે છે મુનવ્વર હુસૈને વધુમાં જણાવ્યું હતું કે અમારા બાળકો પોતાનાં જીવનનાં જોખમે કોઈ પણ સંજોગોમાં બીજી શાળામાં બેસવા જશે નહીં અને જો તેમને બળજબરીથી બીજી શાળામાં મોકલવામાં આવશે અને કોઈ અકસ્માત નડશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાશનાધિકારીની રહેશે. તે બાબતની ગંભીર નોંધ લેવામાં આવે. આ બાબતમાં અમારે કોર્ટ કચેરીમાં ન્યાય મેળવવાનો વિકલ્પ ખુલ્લો છે.”

જમાઅતે ઇસ્લામી હિંદના સ્થાનીય પ્રમુખ વાસિફ હુસૈને કહ્યું હતું કે અમદાબાદ પૂર્વ વિસ્તારમાં નાગરિકોની આ માંગણીને જો તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે અને તેના પર અમલ કરવામાં આવે તેવી આશા સાથે મેયર, ડેપ્યુ. મ્યુ. કમિશ્નર અને શાસનાધિકારીઓને લેખિતમાં જણાવવામાં આવ્યું છે. વાસિફ હુસૈને કહ્યું કે “આ માંગણીઓ સ્વીકાર કરી આ શાળાઓ પુનઃ યથાસ્થળે ચાલુ નહીં કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની ફરજ પડશે. અને તેનું જે કંઈ પરીણામ આવશે તો તેની સઘળી જવાબદારી વહીવટીતંત્રની રહેશે.” હવે જોવાનું રહ્યું આ અંગે માંગણી ઉપર ગંભીરતાથી અને સહાનુભૂતિપૂર્વક વિચાર કરી નાના બાળકોનાં હિતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે કે કેમ?