રાજકોટ, રાજકોટમાં સીઆર પાટીલ વજુભાઈ વાળાના ઘરે તેમના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે તેઓ બાપાને પગે લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાના ખબરઅંતર પૂછ્યા હતા. પાટીલે વજુભાઈને કહ્યું હતું કે બાપા તબિયત કેમ છે? તો વજુભાઈએ કહ્યું, હમણાં કાંઈ મગજ હલાવાનો નથી, એટલે પગ હલાવું છું. વજુબાપાના કટાક્ષથી બધા જ નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.

મુલાકાત બાદ વજુભાઈએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે મેં અને પાટીલ સાહેબે સાથે કામ કર્યું છે એટલે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. મારે હવે મગજ હલાવાનું નથી. રાજકોટમાં કોઈ જૂથવાદ હતો નહીં, છે પણ નહિ અને રહેશે પણ નહીં. આ બધી ગેરસમજ જેને થઈ છે તેણે જૂથવાદ ઊભો કર્યો છે. પાટીલે પણ મીડિયાને નિવેદન આપ્યું હતું કે વજુબાપા પાર્ટીના સૌથી સિનિયર નેતા છે. તેઓ સાથે કામ કર્યું હતું એટલે ખાસ તેમના આશીર્વાદ લેવા આવ્યો હતો. પાટીલે વજુભાઈ વાળા સાથે બંધબારણે ૮ મિનિટ સુધી બેઠક કરી હતી. જૂથવાદ ડામવા અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઇ હોવાની શક્યતા છે. જાેકે પાટીલે જણાવ્યું હતું કે વજુભાઈ પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે એટલે ઔપચારિક મુલાકાત કરી છે. વજુભાઈને મળ્યા બાદ સીઆર પાટીલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પાટીલે નરેશ પટેલ સાથે ચા પીધી હતી અને અમુક ચર્ચાઓ પણ કરી હતી. ચૂંટણી પહેલાં નરેશ પટેલની મુલાકાત સૂચક હોવાથી પાટીલ તેમની મુલાકાત કરવા પહોંચ્યા હતા. અગાઉ નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી હોવાની માગ કરી હતી.