રજાકોટ-

માવઠાના કારણે ખેડૂતના તૈયાર માલને ખૂબ મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડ઼ૂતની સ્થિતિ વધારે કથળી ગઈ છે. ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે તાત્કાલિક સરવે કરીને વળતર આપવાની જાહેરાત કરી હતી. જેમ તેમ સરવે કરી કેટલાક ખેડૂતોને વળતર આપ્યું હતું. તેમ છતાં કેટલાય તાલુકાના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હતા. ખેડૂતો માટેના કાળા કાયદા ઉત્પાદનનો પૂરતો ભાવ નથી મળતો, ત્યાં માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ ઉભી થઈ છે. તો બીજી તરફ, રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી માવઠાના કારણે પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ચિંતામાં ઓર વધારો થયો છે. કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આજે સમગ્ર રાજકોટમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. એક લાખ ગુણી મગફળી ખુલ્લા મેદાનમાં હોવાથી માવઠામાં પલળી ગઈ હતી. મગફળી પલળી જતા મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી આગામી સમયમાં મગફળીના ભાવમાં 10 થી 20 % ઘટાડો જોવા મળશે. કમોસમી વરસાદમાં મોટી માત્રામાં મગફળી પલળી ગઈ છે. ત્યારે કપાસની જેમ મગફળી માટે પણ શેડ બનાવવામાં આવે તેવી ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી છે.