પાલનપુર : કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે કોરીડોરની લાઈનનું કામ ચાલતું હોવાથી પાલનપુર ગુરૂનાનક ચોકનો ઓવરબ્રિજ ઊંચો કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. બીજી તરફ માનસરોવર ફાટક પાસે ઓવરબ્રિજનું કામ શરૂ કરાતાં માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદીન વધી રહી છે. જેમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસનું સુચારૂ આયોજન કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જોકે, રેલ્વે વિભાગ દ્વારા કોરીડોરની લાઈનનું કામ ચાલતું હોવાના કારણે શહેરના ગુરૂનાનક ચોક પાસેનો ઓવર બ્રિજ ૮૦ સેમી અંદાજિત સવા ત્રણ ફૂટ જેટલો ઊંચો કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેનું કામ એક વર્ષ ઉપરાંત ચાલુ રહેશે. બીજી તરફ માનસરોવર ફાટક પાસે સરકાર દ્વારા ઓવરબ્રિજ પાસ કરવામાં આવ્યો છે. જેનું કામ છેલ્લા કેટલાક સમયથી બંધ હતું. જે ફરી શરૂ થતાં શહેરમાંથી હાઇવે જવાનો માર્ગ બંધ કરાયો છે. શહેરને જોડતા બંને બ્રિજના કામ એક સાથે ચાલુ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલ્વેના ડી.આર.યુ.સી.સી મેમ્બર અંબાલાલ રંગવાણીએ જણાવ્યું કે, હાલમાં પાલનપુર રેલ્વે સ્ટેશનની દક્ષિણ દિશામાં આવેલ ઓવરબ્રિજની ૮૦ સેમી અંદાજિત સવા ત્રણ ફુટ જેટલી ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. જે એક સાઇડનું કામ પતી ગયા પછી બીજી સાઇડનું કામ ચાલુ થશે. હાલમાં પાલનપુરમાંથી પસાર થતી ડેડીકેટેડ ફેઇટ કોરિડોર લાઇનના કારણે બ્રિજની ઊંચાઈ વધારવાની જરૂર પડી છે. વેપારી ચેતનભાઇ શાહે જણાવ્યું હતું કે,શહેરમાં તહેવારોમાં બ્રિજનું કામ શરૂ કરાયું છે. બીજી તરફ માનસરોવરનો માર્ગ પણ બંધ છે. જેના કારણે ગ્રાહકો ખરીદી બજારમાં આવવાનું ટાળતા હોય છે અને તે ગ્રાહકો ખરીદી માટે મોલમાં જતા રહેતા હોય છે. બજારમાં આવતા વ્યક્તિઓ પણ બને તેમ એક ધક્કામાં કામ પુરૂ કરાવવાના કારણે કામમાં પણ ઉતાવળ કરતા હોય છે. જેથી વેપારીઓને ધંધા પર અસર પડી રહી છે.