ગાંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના નવનિર્મિત નવ બસ સ્ટેશન, બસ ડેપો અને વર્કશોપનું ઇ-લોકાર્પણ તેમજ પાંચ બસસ્ટેશન અને ડેપો વર્કશોપના ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની રસીને લઇને જણાવ્યું હતું કે, અમારી પાસે એવી ઘણી માહિતીઓ આવી છે કે, જેમાં વિપરિત પરિસ્થિતિમાં કેટલાક સમાજ, જ્ઞાતિ અને વર્ગમાં અંધશ્રદ્ધા ફેલાયેલી છે, જેના કારણે આ સમાજ, જ્ઞાતિ અને વર્ગના લોકો કોરોનાની રસી (વેક્સિન) લેતા નથી.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ અફવા ફેલાવી છે કે, રસી લેવાથી તકલીફ થશે. અહીંયા દર્શન કરો અથવા તો બાધા રાખો, જેથી તમને કોરોના થશે નહી. આવી અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો રસી લેતા નથી. આ બધી અફવાઓ ઓછા સમજુ અને ધાર્મિક રીતે રસીને બીજી રીતે જોતા હોય તેના આધારે આવી કાનભંભેરણી કરવામાં આવે છે. આવા અપ્રચાર કરનાર લોકો સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સતત રજૂઆત કરતાં વેક્સિનનો જથ્થો વધુ મળી રહ્યો છે. હવે ભારત સરકારે વધુ જથ્થો આપતાં રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 45 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે. આમ, રાજ્યમાં દરરોજ ૩ લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. નિતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજનના લીધે મ્યુકરમાઇકોસિસ કેસ વધ્યા હોવાનું કોઇ વૈજ્ઞાનિક તારણ ધ્યાનમાં આવ્યું નથી. પરંતુ અનેક દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા છે.