વડોદરા-

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરીના પહેલા મહિનામાં પદવીદાન સમારંભ યોજાતો હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે હજુ સુધી પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો નથી. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. દર વર્ષે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પદવીદાન સમારંભમાં આપવામાં આવતા હોય છે અને દેશના મહાનુભાવોને ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવતું હોય છે. આગામી માર્ચ મહિનામાં પદવીદાન સમારંભ યોજાશે તેવું સિન્ડિકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું.

એમએસ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય સત્યમ કુલાબકરે જણાવ્યું હતું કે, આ વર્ષે પદવીદાન સમારંભ માર્ચ મહિનામાં યોજવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીફ ગેસ્ટ તરીકે ઓનલાઇન આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા માટે ખુશીની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વડોદરા પધારશે. 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત હાસિલ કરી હતી.