દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જો દેશમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો વડાપ્રધાન મોદી અમેરિકાનો પ્રવાસ કરશે. જોકે, તેમના પ્રવાસને ધ્યાનમાં રાખી અત્યાર સુધી સમય નક્કી નથી કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જી-7ના શિખર સંમેલનના સંપર્ક (આઉટરીચ) સત્રમાં ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે, મોદી દેશમાં કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જી-7ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન નહીં જાય. જી-7 સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને અમેરિકા સામેલ છે, પરંતુ આ વખતે જી-7ના અધ્યક્ષ હોવાથી બ્રિટને ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને શિખર સંમેલનમાં આમંત્રિત કર્યા હતા.