વડગામ, તા.૨૫ 

બનાસકાંઠા જિલ્લાનો ટ્રાયબલ વિસ્તાર એવા દાંતા અને અમીરગઢ તાલુકાના લોકોમાં વારસાગત સિકલસેલ એનીમીયા નામનો રોગ જોવા મળે છે. આ રોગ વારસાગત હોવાથી લોહીના રક્તકણોની તપાસ કરાવ્યા બાદ જ તેની જાણકારી મળે છે. પ્રથમ તબક્કામાં સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેની તપાસ કરાવ્યા બાદ સિકલસેલ એનીમીયા જણાય તો વધુ સારવાર માટે જિલ્લાની સીવીલ હોસ્પીટલમાં અને સઘન સારવારની જરૂરીયાત જણાય તો અમદાવાદ સુધી લઈ જવામાં આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ૩૯૦થી વધુ દર્દીઓ સિકલસેલ એનીમીયાના છે. ૧૮ હજાર સિકલસેલ ટ્રેઇટ ધરાવતા વ્યક્તિઓ છે. જો એક વ્યક્તિ સિકલસેલ ટ્રેઇટ હોય અને તે સિકલસેલ ટ્રેઇટ મહિલા સાથે લગ્ન કરે તો આવનાર બાળક સિકસસેલ એનીમીયાવાળું પેદા થઇ શકે છે. આ રોગને આગળ વધતો અટકાવવા માટે જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકા સહિત જિલ્લામાં જ્યાં પણ આવા ટ્રેઇટ વ્યક્તિઓ છે સરકારના સિકલસેલ એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સિકલસેલના દર્દીઓની તપાસથી લઇને દવાઓ અને સારવાર સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા કરાય છે. રાજ્ય સરકારના ખાસ અભિયાન હેઠળ તેમની સંભાળ પણ રાખવામાં આવતી હોય છે. અમીરગઢ તાલુકાના ખારીઝાબા ગામના હંસાબેન ભગોરા, રબારીયા ગામના કમળાબેન ડુંગાઇશા અને બાલુન્દ્રા ગામના કાળીબેન દામા, દાંતા તાલુકાના દાલપુરા ગામના રઝકબેન પારઘી તથા પાલનપુર તાલુકા ગોઢ ગામના આસુબેન સેવણ આ પાંચેય સગર્ભા બહેનોના તેમના સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સિકલસેલ કાઉન્સેલરો દ્વારા ઘરની મુલાકાત લઇ તેમને સિકલસેલ એનીમીયાની તપાસ માટે લઈ જવામાં આવ્યા. તપાસમાં તેઓ સિકલસેલ એનીમીયા રોગથી પિડીત હોવાનું જાણવા મળતાં તેમની અને તેમના પરીવારના સભ્યોની પરિસ્થિતિ જાણી અને તેમના રિપોર્ટ વિશે તેઓને માહિતગાર કરાયા હતા. આ પાંચેય સગર્ભા સિકલસેલ પોઝીટીવ આવતાં તેમના પતિઓનું પણ સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. પતિઓના પણ રિપોર્ટ પોઝીટીવ આવતાં આ દંપતીઓના લોહીના સેમ્પલ લઇ ઇન્ડીયન રેડક્રોસ અમદાવાદમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. આ પાંચ દંપતીઓ સિકલસેલ એનીમીયા ટ્રેઈટ આવતા તેમને રિપોર્ટ વિશેની જાણકારી આપવામાં આવી. કાઉન્સેલર ચંદ્રિકાબેન પંચાલે આ દંપત્તિઓને સરકારી ગાડીમાં અમદાવાદ લઇ જઇ સચી વુમન્સ હોસ્પીટલમાં હંસાબેન, કમળાબેન, કાળીબેન, રઝકબેન અને આસુબેનનું સોનોગ્રાફી કરાયું આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકની ગાયનેકોલોજીસ્ટે તપાસ કરી કે તેમના ગર્ભમાં રહેલું બાળક સિકલસેલ છે કે કેમ? અને જો ગર્ભમાં રહેલું બાળક સિકલસેલનું દર્દી હોય તો તેને જન્મ આપી શકાય નહીં. સદનસીબે આ બહેનોના ગર્ભમાં રહેલા બાળકો તંદુરસ્ત હતાં. આ દંપતીઓએ સ્ટાફના કહેવા પ્રમાણે તમામ રિપોર્ટ કરાવી સિકલસેલ દર્દીઓને જન્મ આપતાં અટકાવી આ રોગને આગળ વધતો અટકાવી નવી પહેલ કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે તેમ જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું હતું.