દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે આઠ ટ્રેનને રવાના કરી હતી. "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જોવા માટે દેશના જુદા જુદા ભાગના લોકોની અવરજવર સુવિધા થાય તે હેતુથી આ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો કેવડિયાને વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડશે. વડા પ્રધાને તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો.

પીએમએ કહ્યું, "આ જોડાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે ફાયદાકારક રહેશે પરંતુ તે કેવડિયાના આદિવાસી સમુદાયનું જીવન બદલવામાં પણ મદદ કરશે." તેમણે જણાવ્યું હતું કે પ્રવાસન નકશા પર કેવડિયાના વિકાસથી ત્યાંના આદિવાસી સમુદાય માટે નવી નોકરીઓ અને સ્વરોજગારની તકો મળશે. અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ થનારી ટ્રેન જન શતાબ્દી એક્સપ્રેસ હશે, જેમાં વિસ્તા કોચ હશે. આ કોચ દ્વારા પ્રવાસીઓ સ્થળના પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ માણી શકશે.