અમદાવાદ-

હવે ગરવો ગીરનાર સર કરવા માટે ભાવિકોને પગ ઘસવા નહીં પડે. કારણકે રોપ-વે પ્રોજેકટ હવે ખુલ્લો મુકાવા માટે સજજ થઈ ગયો છે. ગીરનાર રોપ-વે પ્રોજેકટનું ૨૪મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે.

ગીરનાર રોપ-વેની વિગતો આપતા પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, તા.૧-૫-૨૦૨૦ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી તથા હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ રોપ-વે યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે ટ્રોલી લગાવવાની યોજના હતી પરંતુ નવી ટેકનોલોજી ઉપલબ્ધ થતા હવે ૮ પેસેન્જરવાળી ૨૫ ટ્રોલી લગાડાશે. ટ્રોલીમાં માઈક્રોફોન, લાઉડ સ્પીકર તથા હવાબારીની વ્યવસ્થા હશે. ધીમે ધીમે ટ્રોલીની સંખ્યા ૩૧ કરાશે. અત્યારે જુનાગઢમાં દર વર્ષે ૪૦ લાખ યાત્રિકો આવે છે જે સંખ્યા રોપ-વે બન્યા બાદ બમણી એટલે કે ૮૦ લાખ થશે.

ગીરનાર રોપ વે યોજનાની ડીઝાઈન ઓસ્ટ્રિયામાં બની છે. એશીયાની આ સૌથી મોટી રોપ-વેની ડિઝાઈન ડોપલમયર કંપની દ્વારા તૈયાર કરાઈ છે. ગીરનાર રોપ-વેની ડીઝાઈન સમગ્ર ભારતમાં અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલ ડિઝાઈન કરતા અલગ જ હશે. ડોપલમાયર કંપનીની વિશ્ર્વના ૩૩ દેશોમાં બ્રાન્ચો છે. આ કંપનીનું વડુ મથક લાનામાં છે.

રોપ-વેમાં હાલ ૮ પેસેન્જર વાળી ૨૫ ટ્રોલી, આગામી દિવસોમાં વધુ ૬ ટ્રોલી ઉમેરાશે  ગીરનાર રોપવેમાં હાલ ૮ પેસેન્જર વાળી ૨૫ ટ્રોલી છે અત્યાર સુધી દેશમાં ૮ પેસેન્જર વાળી ટ્રોલી કયાય લગાવવામાં આવી નથી. આવી ટ્રોલી માત્ર ગીરનાર રોપ-વેમાં જ જોવા મળશે. આગામી દિવસોમાં વધુ ૬ ટ્રોલી ઉમેરવાનું આયોજન કરાયું છે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે ટ્રોલી લગાવવાની યોજના હતી. પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 

રોપ-વે પ્રોજેકટની ખાસીયત 

૮ યાત્રિકો બેસીશકે તેવી ગ્લાસ ફલોરીંગ વાળી ૨૫ ટ્રોલી 

એશીયાનો સૌથી લાંબો રોપવે.. રોપવેની લંબાઈ ૨.૧૩ કીલોમીટર

ટ્રોલીની ઝડપ એક સેક્ધડના પાંચ મીટર

બે ટ્રોલી વચ્ચે ૩૬ સેક્ધડનું અંતર

એક ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા પછી ૨૧૬ મીટર આગળ જશે પછી બીજી ટ્રોલી રવાના થશે.

એક કલાકમાં ૮૦૦ યાત્રિકોનું વહન

લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોચતા ૭.૪૩ મિનિટ

રોપવે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળશે.

ઝડપથી ફૂંકાતા પવન વચ્ચે ટ્રોલીનું બેલેન્સ જળવાઈ રહે તે માટે વજનદાર ટ્રોલી બનાવવામાં આવી છે.

રોપ વેના કુલ નવ ટાવર છે. જેની ઉંચાઈ ૭ થી ૮ માળના બિલ્ડીંગ જેટલી છે.

રોપવેનું લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધીનું અંતર ૨૧૨૬.૪૦ મીટર છે.

રોપવે થયા બાદ જૂનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વાર્ષિક ૪૦ લાખ જેટલો વધારો થશે.

પ્રોજેકટનો શરૂઆતનો ખર્ચ અંદાજીત રૂ.૯ કરોડ હતો, હવે રૂ.૧૩૦ કરોડ

રોપ-વે પ્રોજેકટનો શરૂઆતી ખર્ચ અગાઉ રૂ.૯ કરોડ અંદાજવામાં આવ્યો હતો. ત્યારે મર્યાદામાં સુવિધાઓ વિકસાવવાનું આયોજન હતુ પરંતુ આ પ્રોજેકટની મહત્વતા વધુ હોય સરકારે પણ પૂરૂ ધ્યાન આપ્યું અને પ્રોજેકટમાં કોઈ કસર ન રહે તેની તકેદારી રાખી હતી. પરિણામે હાલ આ પ્રોજેકટનો ખર્ચ અંદાજે રૂ.૧૩૦ કરોડે પહોચ્યો છે.