નર્મદા-

કેવડિયા ખાતે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ માટે અધિકારીઓની બેઠકોનો દોર પણ શરુ થઈ ગયો છે.હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત કાર્યક્રમનું કદ પણ નાનું રાખવામાં આવે તેવી શક્્યતાઓ છે. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહેશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દશેરાથી શરુ થઈ જશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ કાર્યક્રમને લઈને અધિકારીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. નર્મદા જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમની તૈયારીઓ માટે ૩૨ જેટલી સમિતિઓની રચના કરી છે. સમગ્ર કાર્યક્રમ માટે નર્મદા સહિત ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાઓની પોલીસ ફોર્સ સાથે વહીવટી અધિકારીઓ પણ તૈનાત રહેશે. આ કાર્યક્રમમાં નેશનલ ફોર્સ સાથે ગુજરાત પોલીસ પણ પરેડ રજુ કરશે.