ગાંધીનગર-

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ મગફળીની ખરીદી 21 ઓક્ટોબરથી નહીં કરવાની જાહેરાતના મુદ્દે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાંક જિલ્લાઓમાં તૂટક તૂટક વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. જેથી મગફળી ખરીદી સમયે રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ખેડૂતોની મગફળી રિજેક્ટ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે 21 ઓક્ટોબરને બદલે 26 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળીની ખરીદી 5 દિવસ પાછી ઠેલવી છે. જે હવે 26 ઓક્ટોબરથી રાજ્યના 139 સેન્ટર પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે. ખરીદીની આ પ્રક્રિયા 90 દિવસ ચાલશે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવવાની હતી. જોકે આજે 20 એક્ટોબરે સાંજે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ 21 ઓક્ટોબરથી મગફળી નહીં ખરીદવાની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યમાં હવે 26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.