અરવલ્લી, તા.૩ 

અરવલ્લી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. જિલ્લા પોલીસ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે દોડી રહી છે.અરવલ્લી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પી.આઈ આર.કે.પરમારને બાતમી મળી હતી કે ધનસુરાના પંચકુહાડા ગામના જશું મંગળભાઈ પરમારના ઘરમાં ઈકો કારમાં બહારથી જુગારીઓ લાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પંચકુહાડા ગામે એલસીબીની ટીમે ત્રાટકી જશુ પરમારના ઘરેથી જુગાર રમતા અરવલ્લી-સાબરકાંઠાના ૧૭ જુગારીઓને ૫૧ હજારની રોકડ સાથે દબોચી લીધા હતા. એલસીબીની રેડથી જુગારીઓના મોતિયા મરી ગયા હતા. ધનસુરા નજીક ધમધમતું જુગારધામ ઝડપાતા ધનસુરા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે .ધનસુરા પોલીસની આંખ નીચે પાંચ કુહાડા ગામે ઘરમાં બહારથી ઇકો કારમાં જુગારીઓ લાવી જુગાર રમાડતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા ધનસુરા પોલીસને અંધારામાં રાખી એલસીબી પીઆઈ આર.કે.પરમાર તેમની ટીમ સાથે રેડ કરી જશુ મંગળભાઈ પરમાર નામના શખ્શના ઘરેથી રઝાક સાદીકભાઈ પટેલ, અબ્દુલ ઇસ્માઇલભાઈ પટેલ, રફીક ઇસ્માઇલભાઈ પટેલ, સિરાજ બાકરોલીયા , રહીમ ઉર્ફે ભીખાભાઇ બાકરોલીયા (તમામ,રહે મેઘરજ), દાઉદ શેખ, કાદરમિયા શેખ, હાજીમિયાં શેખ, જાફર શેખ, ગોપાલસિંહ સોલંકી, સંજય શાહ,(તમામ, રહે.હિંમતનગર) ચિરાગ દેસાઇ (વાણીયા), ભાગવત બ્રહ્મભટ્ટ (બંને,રહે પ્રાંતિજ), અમરત પટેલ (રહે,મણીપુરા-વિજાપુર), રાજેશ મીર (વિજાપુર), ઇસ્માઇલ ઇપ્રોલીયા( રહે,મોડાસા) અને દિલાવરખાન પઠાણ (રહે,હરસોલ)ને ઝડપી પાડી દાવ પર લગાવેલા રૂ.૫૧૦૦૦ તથા મોબાઈલ નંગ-૧૬ રૂ.૪૧૦૦૦ ઈકો કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩૯૨૦૦૦નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.