અમદાવાદ,

અમદાવાદમાં આજે બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અનેક દિવસોથી ભારે ઉકળાટ બાદ આજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું હતું. અને અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાં અનેક દિવસોથી ભારે બફારાનો સામનો કરતાં અમદાવાદીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

અમદાવાદના અમરાઈવાડી, ઘોડાસર, ઈસનુપર, પાલડી, શાહીબાગ, નારણપુરા, ધરણીધર, નહેરૂનગર, ખોખરા, હાટકેશ્વર, વટવા, નિકોલ, નરોડા, વસ્ત્રાલ, એસજી હાઈવે સહિતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં પવન અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તે અગાઉ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલાં હતા. અને એકાએક ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતો ધોધમાર વરસાદ આવી જતાં બહાર નીકળેલાં અમદાવાદીઓએ ઝાડ અને બસ સ્ટેન્ડ નીચે આશરો લીધો હતો. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો આવ્યો હતો.

પાલડી, રખિયાલ, વટવા, દુધેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ચાંદલોડિયામાં સવા ઈંચ વરસાદ, ઓઢવ, ઉસ્માનપુરામાં એક ઈંચ વરસાદ, સરખેજ, મણિનગરમાં પણ એક ઈંચ વરસાદ અને વિરાટનગરમાં 0.75 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ પૂર્વના ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા હતા. જેના કારણે વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.