ગાંધીનગર-

અરબી સમુદ્રમાં સર્જાયેલાં ડિપ્રેશનથી રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ડબલ સિઝનનો અનુભવ થાય છે. જાેકે, ડિપ્રેશન હવે ઓમાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ, ડિપ્રેશનની અસરથી આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. ૨૦ ઓકટોબર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૪૩ તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની વાત કરીએ તો ધ્રોલમાં ૪.૩૬ ઇંચ, ભાવનગરના સિહોરમાં ૩.૬૮ ઇંચ, રાજકોટનાં ગોંડલમાં ૨.૫૨ઇંચ, રાજકોટનાં ધોરાજી અને કોટડાસંઘાણીમાં બે ઇંચથી વધુ વરસાદ, રાજકોટ, જૂનાગઢના વંથલી, કચ્છના રાપર, જાેડીયા ભાવનગરનાં ઘોઘા તથા ભાવનગરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે, બપોર બાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરૂ થયેલા વરસાદથી વાતાવરણ ડરામણું બની ગયું હતું. આ દરમિયાન માળીયા મિયાણા મંદરકી ગામે વીજળી પડતા સવિતાબેન હરિભાઈ અગેચણિયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે વાવડી ગામમાં એક મકાનની છત અને રંગપર ગામમાં એક મંદિરમાં વીજળી પડી જાનહાની થઇ ન હતી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને ફરી એકવાર રાજ્યના ખેડૂતો ચિંતામાં પેઠા છે. એક બાજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં છે.

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ હજી અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્્યતા જાેવાઈ રહી છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં લો-પ્રેશર થવાના કારણે બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વરસાદી છાંટા પડ્યા હતા.