વડોદરા, તા.૨૫

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં યોજાનારી વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ, ભાજપ સહિત પક્ષોના ઉમેદવારોએ પ્રચાર તેજ બનાવ્યો છે. ત્યારે આવતીકાલે સયાજીગંબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સભાનું આયોજન ફતેગંજ ખાતે કરવામાં આવ્યું છે.

વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની ફોજ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે અને વિવિધ સ્થળોએ સભાઓ ગજવી રહ્યા છે. આવતીકાલે વડોદરામાં મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સભા યોજાનાર છે. ત્યારે સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે ફતેગંજ મેઈન રોડ પર સાંજે ૭.૩૦ કલાકે યોજાનાર સભાને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સંબોધશે. ચૂંટણી પ્રચાર માટે હવે ૮ દિવસનો સમય રહ્યો છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.