અમદાવાદ-

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં વધતા જતા ક્રાઇમ પર અંકુશ લાદવા માટે પ્રથમ વખત ‘ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ ૨૦૧૫’ હેઠળ ૧૧ વ્યક્તિઓની ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુના મામલે ૬ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અહિં તમને જણાવી દઇએ કે, રાજકોટ શહેરના ઇતિહાસમાં આ કલમ પ્રથવાર કોઇના પર લગાવવામા આવી છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ ઈમ્તિયાઝ લાલા અને તેના સાગરિતો દ્વારા ફાયરિંગ, વાહનોમાં તોડફોડ સહિતના ગુનાઓને અંજામ આપ્યો હતો

જે મામલે રાજકોટ શહેરના થોરાળા પોલીસ દ્વારા ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ફાયરિંગ તેમજ વાહનોમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. ત્યારે ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત તેની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઇમ સાથે જાેડાયેલ ૧૧ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મામલે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ કે જેલમાં છે.

તેમનો પણ જેલમાંથી કબ્જાે મેળવીને ધરપકડ કરવામાં આવશે. તો ૧૧ પૈકી ત્રણ વ્યક્તિઓની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ગુના હજુ સુધી ગુજરાત રાજ્યમાં માત્ર બે જ જગ્યાએ નોંધવામાં આવ્યા છે. તેમાં અમરેલીમાં શિવરાજ વિછયાની ટોળકી વિરુદ્ધ જ્યારે અમદાવાદ શહેરમાં વિશાલ ગોસ્વામીની ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.