રાજકોટ-

જેતપુરમાં આજે ધોરાજીથી સોના-ચાંદીનાં દાગીના વેંચવા આવેલા સેલ્સમેનને શહેરના નાના ચોક, રમાકાન્ત વિસ્તારમાં આંતરી બે હેલમેટ ધારી બાઇક સવારો રૂા બે લાખ રોકડ અને આશરે ૭૦૦/૮૦૦ ગ્રામ સોનુ ભરેલો થેલો આંખમાં મરચાની ભૂકી છાંટી લુંટી ગયાની ઘટનાથી શહેરભરમાં ચકચાર જાગી છે. આ બનાવમાં લુંટારૂઓએ સેલ્સમેનને પગમાં છરીનો ઘા મારતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ આવી મોટી રકમ અને સોનાની લુંટના પગલે રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મિણા અને સ્થાનીક ડેપ્યુટી સાગર બાગમારે ઘટના સ્થળે દોડી જઇ લુંટારૂઓના તાગ મેળવવા તપાસનો ધમધમાટ શરુ કયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં રહેતો અને સોના-ચાંદીના દાગીનાનું હોલસેલ વેચાણ કરતો ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા આજે સવારે નવેક વાગ્યે જેતપુરમાં આવ્યો હતો. 

અહી શહેરની મતવા શેરી અને ત્યારબાદ સોની બજારમાં જવા માટે ચીમનભાઇએ સોની બજાર પાછળના રમાકાન્ત રોડનો ઉપયોગ કરી ત્યાંથી નીકળતો હતો ત્યારે થોડે બાઇક ઉભુ રાખી, ચુપચાપ ચીમનભાઇ પાછળ પહોચેલા ર હેલમેટ ધારી શખ્સોએ ચિમનને આંતરી, છરી વડે હુમલો કરી મરચાની ભૂંકી ઉડાડતાં ચીમનભાઇ નીચે પડી ગયા હતા.આવા સમયે બન્ને અજાણ્યા લુંટારૂઓએ આ સેલ્સમેન પાસેનો રોકડ રૂપિયા ર લાખ અને ૭૦૦ થી ૮૦૦ ગ્રામ સોનું (રૂ. આશરે ૪૦ લાખ) ભરેલો થેલો ઝુંટવી હવામાં આંગળી ગયા હતા. 

બીજી બાજુ અજાણ્યા હેલમેટ ધારી લુંટારૂઓનાં છરી વડેથી કરાયેલા હુમલાથી ચીમનભાઇને લોહી નીગળતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. હોસ્પિટલ બિછાનેથી ચીમનભાઇએ પોલીસને પોતાની સાથે લુંટની બનેલી ઘટનાની વિગતો આપતા જીલ્લાભરની પોલીસે સર્તકતા દાખવી તપાસ શરુ કરી છે.