વડોદરા,તા. ૪ 

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચ પાસેના કબ્રસ્તાનમાં પગી તરીકે કામ કરતા યુવકનો ગઈકાલે સાંજે તેના ઘરમાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે ફતેગંજ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી મૃતક યુવકના મિત્રને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની ધરપકડ અગાઉ કોરોના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝામપુરા સ્થિત શારોન મેથોડિસ્ટ કબ્રસ્તાન પાસે પરિવાર સાથે રહેતો રાકેશ રાજુભાઇ ક્રિશ્ચન (ઉ.વ.૩૫) પગી તરીકે કામ કરતો હતો. સોમવારે પરિવારજનો ભરૂચ રક્ષાબંધન કરવા માટે ગયા હતા. મોડી સાંજે પરત ફરેલા પરિવારજનો ઘરના પલંગ પર લોહીથી લથબથ હાલતમાં રાકેશનો મૃતદેહ જોતા ચોંકી ઉઠ્‌યા હતા. ઘટનાની જાણ ફતેગંજ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન બપોરના સમયે રાકેશ ઘરે એકલો હતો ત્યારે તેનો મિત્ર જોયેલ સેમ્યુઅલ રાજપૂત(રહે. સિદ્ધાર્થનગર, નિઝામપુરા) ઘરે આવ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા મિત્રએ રાકેશને તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા રાકેશની હત્યા કરનાર જોયેલ રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે. રાકેશની હત્યા તેના મિત્રએ ક્યા કારણોસર કરી છે તે અંગે તેની પૂછપરછ ચાલી રહી છે. આ સાથે કોવિડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ પોલીસે હત્યારાનો કોવિડ ટેસ્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.