અમદાવાદ-

રાજ્યમાં કોરોનાનાં કેસો 1300ને પર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અનલોક 4 બાદ તમામ રોજગાર ધંધા શરૂ થઈ ગયા છે. બહારથી આવતા મજૂરો અને લોકોથી પણ સંક્રમણ વધ્યું હોવાને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર યાત્રીઓના રેપીડ ટેસ્ટીંગની પ્રકિયા શરૂ કરી છે. જેની કામગીરીના ભાગરૂપે રાજધાની ટ્રેન સહિત અન્ય ટ્રેનમાં આવેલા યાત્રીઓના ટેસ્ટિંગ કરતા 30થી વધુ કેસ પોઝિટિવ મળી આવ્યાં હતાં. દિવસ દરમિયાન 3 ટ્રેનો આવતી હોવાથી તમામ મુસાફરોનું નિયમિત ટેસ્ટીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યમાંથી રોજીરોટી કમાવવા અમદાવાદ આવતાં કામદારો અને મજૂરોમાં કોરોના જોવા મળ્યો છે. જેના લીધે શહેરમાં સંક્રમણને અટકાવવા માટે આજથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ખાસ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. બહારગામથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ફરજિયાત ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારે દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના મુસાફરોનું ટેસ્ટીંગ થયું હતું. આ ટેસ્ટીંગની કામગીરી દરમ્યાન 26 કેસો પોઝિટિવ મળી આવ્યાં હતાં. તેઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તો ગંભીર લક્ષણો હોય તેવા મુસાફરને કોવિડ કેર સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની કામઉગીરી હાથ ધરાઇ હતી.