ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં સારા વરસાદના પગલે ખરીફ સિઝનનું લગભગ ૯૫ ટકા વાવેતર પૂરુ થઈ ચૂકયું છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં છેલ્લાં ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર ૮૪,૯૦,૦૧૭ હેક્ટર રહ્યો છે, જેની સામે આ વખતે ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં જ ૮૦,૬૪,૩૬૪ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂકયું છે.નોર્મલ વાવેતર વિસ્તારની સામે મગફળીનું ૧૩૩ ટકા, તલનું ૧૩૬ ટકા,દિવેલાનું ૬૧ ટકા અને સોયાબીનનું ૧૨૧ ટકા વાવેતર થયું છે.

ગુજરાત રાજ્ય ખેતી નિયામકશ્રીની કચેરીમાં પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં ૧૭ ઓગસ્ટ,૨૦૨૦ સુધીમાં નોર્મલ વાવેતરની (છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ) સરખામણીએ ધાન્ય પાકનું ૯૪ ટકા, કઠોળ પાકનું ૮૮ ટકા અને તેલીબીયા પાકનું ૧૧૩ ટકા વાવેતર થઈ ચૂક્્યું છે. જેમાં ડાંગરનું ૯૪ ટકા, બાજરીનું ૧૧૩ ટકા, જુવારનું ૬૨ ટકા અને મકાઈનું ૯૨ ટકા વાવેતર થયું છે. કઠોળ પાકમાં તુવેરનું ૮૯ ટકા, મગનું ૯૪ ટકા, મઠનું ૭૮ ટકા અને અડદનું ૮૪ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યમાં તેલીબીયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. નોર્મલ વાવેતર વિસ્તારની સામે મગફળીનું ૧૩૩ ટકા, તલનું ૧૩૬ ટકા,દિવેલાનું ૬૧ ટકા અને સોયાબીનનું ૧૨૧ ટકા વાવેતર થયું છે.

રાજ્યમાં અન્ય પાકમાં પણ પ્રમાણમાં સારુ વાવેતર થયું છે. નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ કપાસનું ૮૫ ટકા, શાકભાજીનું ૯૩ ટકા અને ઘાસચારાનું ૯૧ ટકા વાવેતર થઈ ચૂક્્યું છે. રાજ્યમાં ગુવાર સીડનું વાવેતર પણ અંદાજે ૬૮ ટકાની આસપાસ પહોંચ્યું છે.