અમદાવાદ-

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવા લાગતા ભરૂચ-વડોદરા જિલ્લાના ગામડાઓમાંથી પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 2 ટીમો તૈનાત છે. આ ઉપરાંત એનડીઆરએફ એસડીઆરએફની 11 ટીમો સ્ટેંડબાય છે. વરસાદને લીધે સ્ટેટ હાઈવેના 33 સહિત કુલ 297 રસ્તાઓ બંધ છે. જ્યારે એસટીની 48 રૂટની 101 ટ્રિપ બંધ કરાઈ છે. 

ગુજરાતમાં આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. હજુ આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ લોપ્રેશર સર્જાયું છે. જેના કારણે આજે કચ્છમાં અતિભારે જ્યારે અમદાવાદ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા, સાબરકાંઠા-અમરેલી-જામનગર મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. ગુજરાતમાં બુધવારથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.