ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીની શોધ-સંશોધન અને શ્રેષ્ઠ સમયાનુકુલ શિક્ષા દીક્ષા દ્વારા સ્કિલ્ડ-કુશળ યુવા શક્તિના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ચોઇસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ છે ત્યારે રાજ્યની યુવા શક્તિ શિક્ષણના આયુધથી સજ્જ થઈ વિશ્વની બરોબરી કરી શકે તેવા યુવાનો તૈયાર થાય તે દિશામાં પ્રયત્નો આ સરકારે કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી દીક્ષા પ્રાપ્ત કરી સમાજમાં પદાર્પણ કરવા જઈ રહેલા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સમુચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વ ગરીબ, વંચિતનું કલ્યાણ પણ નિભાવે તે આવશ્યક છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પાસે તો શ્રેષ્ઠ શિક્ષાનો પ્રાચીન વારસો છે. વલભી જેવા વિદ્યાધામોની ભવ્યતા ફરી પ્રસ્થાપિત થાય અને વિશ્વના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવે એવી સ્થિતિ સર્જવી છે. વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણના અનેકવિધ નવતર આયામો અને સેક્ટરલ યુનિવર્સિટીની સુવિધા આપણે ઊભી કરી છે. તેથી હવે ગુજરાતનો વિદ્યાર્થી અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવાને બદલે ઘરઆંગણે જ ઉચ્ચ અભ્યાસ-શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. મુખ્યમંત્રીએ આ અંગે ઉમેર્યું કે, કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી રાજ્યનો યુવાન શિક્ષણની મર્યાદિત તકોથી બાપડો બિચારો રહી ગયેલો. આ સરકારના શિક્ષણ પ્રત્યેના સુદ્રઢ આયોજન થી હવે ૭૭ જેટલી યુનિવર્સિટીઓ શિક્ષણ આપતી થઈ છે. અનેકવિધ યુનિવર્સિટી કાર્યરત કરી છે. તેમણે ફોરેન્સિક, સાયન્સ, મરીન, પેટ્રોલિયમ, રક્ષાશક્તિ, રેલવે, ટ્રાયબલ જેવી વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત અને દેશભરના યુવાઓ ઉચ્ચ શિક્ષા દીક્ષા મેળવી જાેબ ગીવર બની રહ્યા છે તેનો આનંદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.