રાયપુર-

છત્તીસગઢના બીજાપુર-સુકમા બોર્ડર પર નકસલીઓના હુમલામાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રધ્ધાંજલિ પાઠવી. સોમવારના રોજ અમિત શાહ જગદલપુર પહોંચ્યા. તયારબાદ અગત્યની બેઠક કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે આ ઘટના બાદ લડાઇને વધુ તીવ્ર કરાશે અને ચોક્કસપણે વિજયમાં પરિવર્તિત કરાશે. જે જવાન શહીદ થયા છે તેમના પરિવારજનોને હું કહેવા માંગીશ કે તમારા ભાઇ, પતિ, દીકરાએ જે દેશ માટે બલિદાન આપ્યું છે તેને દેશ કયારેય ભૂલશે નહીં. સંકટની ઘડીમાં આખો દેશ તેમની સાથે ઉભો છે. પરિવારજનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. હું શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ જશે નહીં. આ દેશને વિશ્વાસ અપાવું છું. મૂળમાંથી નકસલવાદને ખત્મ કરીશું, લડાઇ હવે નિર્ણાયક મોડ પર છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે નકસલીઓની વિરૂદ્ધ ઓપરેશનમાં તેજી લાવામાં આવશે. સાથો સાથ તેમના માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સહારો લેવાશે. એટલું જ નહીં મોટા પાયે એનટીઆરઓ સુરક્ષા એજન્સીઓની રિયલ ટાઇમ માહિતી આપીને મદદ કરશે. સુરક્ષા એજન્સીઓ મોસ્ટવોન્ટેડ નકસલી કમાન્ડરની યાદી બનાવીને તેની વિરૂદ્ધ ટૂંક સમયમાં જ મોટું ઓપરેશન શરૂ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓપરેશન પ્રહાર-૩ની અંતર્ગત મોટા નકસલીઓને નિશાન બનાવાની તૈયારી છે. જે ભોળા યુવાનોનું બ્રેનવોશ કરી તેમને નકસલ ગતિવિધિઓમાં સામેલ કરવા માટે ઉશ્કેરે છે.