વડોદરા : વડોદરાના ફુલેકાબાજ ઉદ્યોગપતિ સાંડેસરા ગ્રૂપ સામે ઈડીએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે વડોદરામાં પણ આવેલી સાંડેસરા ગ્રૂપની અન્ય સંપત્તિઓ જેના પર અગાઉ કાર્યવાહી થઈ નથી, એ મિલકતો ઈડીએ શોધી કાઢી જપ્ત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં વૈભવી ફાર્મ હાઉસથી માંડી પોશ એરિયાની જમીનના પ્લોટો અને અન્ય મિલકતો પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સાંડેસરા ગ્રૂપ મનીલોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના જમાઈ અને ફિલ્મ અભિનેતા ડીનો મોરિયા સહિત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરી છે.

સાંડેસરા ગ્રુપ કેસમાં ઈડીએ પીએમએલએ એક્ટના સેક્શન-૫ અંતર્ગત અહેમદ પટેલના જમાઈ સહિત કુલ ચાર લોકોની રૂા.૮.૭૯ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં ૩ વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે. સાંડેસરા ગ્રૂપ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સંજય ખાનની ૩ કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની ૧.૪ કરોડની સંપત્તિ, અકીલ બચુલીની ૧.૯૮ કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની ૨.૪૧ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને ૩ કરોડ, ડીનો મોરિયાને ૧.૪ કરોડ, અકીલ બચુલીને ૧૨.૫૪ કરોડ અને અહેમદ સિદ્દીકીને ૩.૫૧ કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના વિશ્વાસુ ગણાતા અહેમદ પટેલને પોતાના જીવનના અંતિમ દિવસોમાં તપાસ એજન્સીની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. ઈડી સાંડેસરા કૌભાંડમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલને ગત જૂન-જુલાઈમાં ત્રણ વખત પૂછપરછ કરી હતી. આ પૂછપરછ ૧૦ કલાક સુધી તો ક્યારેક ૮ કલાક સુધી ચાલી હતી. પૂછપરછ બાદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે ઈડીએ મને ૧૨૮ સવાલ પૂછ્યા હતા. કોંગ્રેસના નેતા જુલાઈના બીજા સપ્તાહમાં થયેલી અંતિમ પૂછપરછ બાદ કહ્યું હતું કે, ઈડીએ મને કહ્યું કે મારી પૂછપરછ પૂરી થઈ ગઈ છે, મેં તેમને કહ્યું કે તમે જેટલા દિવસ ઈચ્છો તેટલા દિવસ મારી પૂછપરછ કરી શકો છો. જાે કે તેઓ સિનિયર સિટિઝન છે અને કોવિડ-૧૦ની ગાઇડલાઈનને કારણે તપાસ એજન્સીની ઓફિસમાં હાજરી નહીં આપી શકે, જે બાદ ઘરે પહોંચેલી તપાસ એજન્સીની ટીમને ૭૦ વર્ષના અહેમદ પટેલને અનેક સવાલો કર્યા હતા, જેના જવાબ તેઓએ આપ્યા હતા.

સાંડેસરા ગ્રૂપ પર બેન્કો સાથે રૂા.૧૪,૫૦૦ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ અગાઉ સીબીઆઈએ રૂા.૫૦૦૦ કરોડની છેતરપિંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ ઈડીએ મનીલોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે સાંડેસરા ગ્રૂપે વિદેશમાં રહેલી ભારતીય બેન્કોની શાખાઓમાંથી પણ લગભગ રૂા.૯૦૦૦ કરોડની લોન લીધી છે.

વડોદરામાં સાંડેસરા ગ્રૂપની અન્ય મિલકતો શોધી કાઢી

ઈડીએ વડોદરામાં સાંડેસરા ગ્રૂપની અન્ય મિલકતો શોધી કાઢી છે જે કેસ થયા બાદ ગુપ્ત રીતે તબદીલ થઈ છે. એ મિલકતો પણ જપ્ત કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ કરાશે જેમાં ગેંડા સર્કલ નજીક પોશ કોલોનીમાં ચાર પ્લોટ ઉપર એક જ પરિવારના ચાર બંગલા બનાવાયા હોવાનું બહાર આવ્યું છે. આ પરિવારનો મોભી એક રાજકીય પક્ષમાં મહત્ત્વનો હોદ્‌ો ધરાવતા હોવાનું ચર્ચાય છે.