વડોદરા

સમગ્ર દેશ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિની ઉજાવની કરી રહ્યો છે. ત્યારે આપ ગુજરાત મહિલા સંગઠન દ્વારા ૩૧ ઓક્ટોબરને બળાત્કાર વિરોધી દિન તરીકે ઉજવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટીની મહિલાઓ અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર અને દેખાવો યોજવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિરુદ્ધમાં વિવિધ પ્રકારના પ્લે બોર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર કરીને દિવસે દિવસે વધી રહેલા બળાત્કારના બનાવો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આક્રોશમાં “અ”સુરક્ષિત મહિલા, “અ”માનવીય સરકારના નારાએ રાજમાર્ગને થંભાવી દીધો હતો. આ ઉપરાંત આપના મહિલા કાર્યકરોએ હાથમાં વિવિધ લખાણોવાળા પ્લે બોર્ડ દર્શાવીને ઘડી માટે રાજમાર્ગને થંભાવી દીધો હતો. આ પ્લે બોર્ડમાં બળાત્કારીઓને ફાંસીએ ચઢાવો, મહિલાઓને ન્યાય અપાવો. ભાજપાનું દુઃશાસન, ખુલ્લા ફરેછે દુઃશાસન, ઈજ્જત ,આબરૂ અને સન્માન એક જ માગ જેવા સૂત્રો ઉપરાંત ગુજરાત સરકાર સામે આકરા પ્રહારો કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દેખાવો અને સૂત્રોચ્ચાર દરમ્યાન આપના મહિલા સહિતના કાર્યકરો દ્વારા દેશભરમાં મહિલાઓ સામે વધી રહેલા બળાત્કારોના બનાવોમાં ન્યાય અપાવવાની માગ કરી હતી. તેમજ સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમજ ગુજરાત સરકાર શરમ કરો, શરમ કરોના પ્લે બોર્ડ દર્શાવ્યા હતા.