અમદાવાદ-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રવિવારે વડોદરાના નિઝામપુરા ખાતેની ચૂંટણીસભા સંબોધતી વખતે એકાએક નબળાઈ લાગીને ચક્કર આવી ગયા બાદ તેઓ સ્ટેજ પર ફસડાઈ પડ્યા બાદ મોડી રાત્રે તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને સારવાર આપીને તપાસ્યા બાદ તેમની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું, છતાં મુખ્યમંત્રીને આગામી 24 કલાક દરમિયાન આરામ ફરમાવવાની સલાહ આપી હતી. આ સ્થિતીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રૂપાણીના સોમવારના કાર્યક્રમો રદ કરી દેવાયા છે. તબીબો તેમની તબિયત પર નજર રાખશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધા બાદ સ્ટાર પ્રચારકો દિવસ-રાત સંપર્ક અને પ્રચાર અભિયાનમાં ખૂબ સમય આપી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીનો આવો વ્યસ્ત કાર્યક્રમ સમજી શકાય એમ છે.