અમદાવાદ, ગુજરાતમાં કોરોના સંક્રમણ અને મોતના આંકડા વધી રહ્યાં છે ત્યારે બે દુખદ સમાચાર સામે આવ્યાં છે. દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. નોંધનીય છે કે, ૧૬ દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જીઆર ઊંઘવાણી, જસ્ટિસ એસી રાવ અને જસ્ટિસ આરએમ સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી. જીઆર ઊંઘવાણીનો ૨૫મી નવેમ્બર, ૧૯૬૧ના રોજ જન્મ થયો હતો. જે બાદ ૧૯૮૩માં બી,કોમની ડિગ્રી નવગુજરાત મહાવિદ્યાલય, અમદાવાદમાંથી મેળવી હતી. જેના ત્રણ વર્ષ બાદ તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી. હાલ તેઓ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. જ્યાં તેમનું દુખદ નિધન થયું છે. દાહોદના ડેપ્યુટી દિનેશ હડિયલનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેઓ લીમખેડા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. કોરોના પોઝિટીવ આવ્યા બાદ વદોદરા ખાતે સારવાર હેઠળ હતા જ્યાં તેમનું દુખદ નિધન થયું છે.