અમદાવાદ-

શ્રેય હોસ્પિટલ આગ પ્રકરણમાં હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે અટકાયત કરવામાં આવી છે અને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ભરત મહંતની ધરપકડ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હોસ્પિટલમાં આગની ઘટના બની ત્યારે હોસ્પિટલના સંચાલકોએ ફાયર બ્રિગેડ કે પછી પોલીસને આગની જાણ કરવામાં આવી ન હતી.

નવરંગપુરામાં આવેલી કોવીડ-19 શ્રેય હોસ્પિટલમાં 5 ઓગસ્ટના રોજ મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો નોંધ્યા બાદ ભરત મહંતની નવરંગપુરા પોલીસે અટકાયત કરી છે અને કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટીવ આવશે તો ધરપકડ કરવામાં આવશે. 

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત જજ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી છે. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે.