ગાંધીનગર-

ગુજરાત રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ અને વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલીની માંગ કરતા શિક્ષકોની તપાસ CID ક્રાઇમને સોપાઇ છે.ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, 'બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે CID ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.

વધુ માહિતી આપતા તેમને ઉમેર્યુ છે કે, 'મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી સરકારે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે અને, સંબધિત અધિકારી-કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી કરીને પગલાઓ લીધા છે.' મંત્રી જાડેજાએ ઉર્મેયુ કે, 'રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી. તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજયના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે FIR દાખલ કરવા શિક્ષણમંત્રી દ્વારા મંજૂરી અપાતા તેમની સામે સંકલિત તપાસ કરવા માટે CID ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે. 'વિધાર્થીઓના ભાવી સાથે ચેડા કરનાર આ સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લા ફેરની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે.' તેમ તેમણે ઉમેર્યુ હતું